કેતન બગડા, અમરેલી: અમરેલીના સાવકુંડલામાં ટ્રેનની અડફેટે આવતા ત્રણ સાવજના મોત થયા છે. સાવરકુંડલાના બોરાળા ગામના ફાટક પાસે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. એકસાથે ત્રણ સિંહના મોત થતાં વનવિભાગ દોડતું થયુ છે. આ બાજુ રેલવે ફાટકની અડફેટે સિંહોના મોત થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અત્રે જણાવવાનું કે તાજેતરમાં જ સિંહોના મોત મામલે ગુજરાતમાં હોબાળો મચ્યો હતો. એક બાદ એક સિંહના મોતથી વન વિભાગ અને સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. ગીરના જંગલમાં 23 સિંહના મોતને લઈને સરકાર અને તંત્ર દોડતું થઈ ગયું હતું. અનેક લોકોએ સિંહના મોતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે કથાકાર મોરારિબાપુએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું.
ખાસ પ્રકારની રસીની કરાઈ હતી વ્યવસ્થા
જૂનાગઢમાં જામવાળા એનિમલ કેર સેન્ટરમાં બિમાર સિંહની સારવાર ચાલી રહી ત્યારે અમેરિકાથી સિંહોની સારવાર માટે વેક્સિન મંગાવવામાં આવી જેને મુંબઇથી રાજકોટ લાવવામાં આવી હતી. રાજકોટથી વેક્સિનને જૂનાગઢ અને ત્યાર બાદ જામવાળા એનિમલ કેર સેન્ટર લઇ જવામાં આવી. સિંહને વેક્સિન આપવા માટે નિષ્ણાંત દ્વારા સૂચન પણ આપવામાં આવ્યું હતું. અમેરિકાથી લાવવામાં આવેલા વેક્સિનને આપવા માટે શક્કરબાગ ઝૂના ડિરેક્ટર પણ આવી પહોંચ્યા હતા. અમેરિકાથી 300 વેક્સિન સિંહો માટે મંગાવવામાં આવી હતી. જેને માઇનસ 16 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે. સિંહોના જુદા જુદા સેમ્પલો લઈ NIV પુના મોકલવામાં આવ્યા હતાં. તેમાંથી ચાર સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે